નવસારીના બીલીમોરા ખાતે જયપુર ગોલ્ડ ટ્રાન્સપોર્ટ નામનું જે ગોડાઉન હતું. આ ગોડાઉનમાં એક આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ત્રણ મોત થયા છે જ્યારે અન્ય લોકોને સારવાર અપાઈ રહી છે.
આગ અંગે વાત કરવામાં આવે તો ટ્રાન્સપોર્ટ ના ગોડાઉનમાં ટ્રકમાંથી કેમિકલ બેરલ ઉતારવામાં આવી રહ્યું હતું. જેમાં બેરલ ઉતારતી વખતે અચાનક આગ લાગી હતી. જેમાં ત્રણથી વધુ લોકો આગની ઝપેટમાં આવતા ફસાયા હતા. આગની ઘટના અંગે જાણ થતા પોલીસ તેમજ ફાયર વિભાગ સ્થળ પર પહોંચ્યું હતું. મેજર કોલ જાહેર કર્યા હતા આસપાસના વિસ્તારોના પણ ફાયર બ્રિગેડના બમ્બા સ્થળ પર પહોંચ્યા હતા.
સ્થળ પર હાજર ડીવાયએસપી સાથે વાત કરતા સમગ્ર માહિતી સામે આવી હતી કે જેમાં નીચે કેમિકલ ઢોળાતાં આગ દૂર સુધી પ્રસરી હતી. આ આગમાં ભડથું થયેલા ત્રણ જેટલા મૃતદેહોને મેંગુસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. નવસારી બીલીમોરા ગણદેવી તમામ વિસ્તારોના સ્થળ પર પહોંચ્યા હતા અને આ દરમિયાન આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ફાયર વિભાગના ઇન્ચાર્જ નવસારી વિજલપુર નગરપાલિકાના ફાયર ઓફિસર જણાવ્યું છે કે 9:24 વાગ્યે તેમને ફોન આવ્યો અને તાત્કાલિક તેમની ટીમ ત્યાંથી રવાના થઈ. તેમનું કહેવું છે કે આ ગોડાઉનમાં એક્ઝિટ માટેના ગેટનો પણ અભાવ હતો અને જેને કારણે આ કર્મચારીઓ આગમાં ફસાયા હતા અને તેમનું મોત થયું.
ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ તેમજ જિલ્લા ભાજપ અધ્યક્ષ ભૂરાલાલ શાહ અને સમગ્ર જિલ્લા ભાજપના અગ્રણીઓ પણ આ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ત્યાંથી મેંગોસી હોસ્પિટલ ખાતે પરિવારજનો સાથે પણ મુલાકાત કરી હતી. ધારાસભ્ય નરેશ પટેલ એ બનતી તમામ મદદ કરવા માટેની ખાતરી પણ આપી હતી.