નવસારી જિલ્લામાં ગયા વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદે મન મૂકીને વરસી સિંચાઈ અને પીવાના પાણી માટે આશીર્વાદરૂપ પરિસ્થિતિ સર્જી હતી. આના પરિણામે નદી, નાળા, અને ડેમો છલકાય ગયા હતા અને પૂરું વર્ષ પાણીનો સંગ્રહ ઉપલબ્ધ રહ્યો છે. હાલ નવા ચોમાસાના આગમન સાથે જ તંત્રએ જુનું પાણી રિલીઝ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડેમના 40 દરવાજાઓમાંથી 20 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે અંબિકા નદીના કાંઠે વસેલા 19 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ગામોમાં રહેતા લોકોને સાવધાની રાખવા સૂચના અપાઈ છે.
જિલ્લાના તંત્રે ચોમાસાના વધતા જળપ્રવાહને ધ્યાનમાં રાખી સાવધાનીપૂર્વક નદીમાં નવા પાણીના પ્રવાહ માટે જગ્યા ખાલી કરવાની વ્યવસ્થા કરી છે. દેવધા ડેમના પાણીનો ઉપયોગ જિલ્લામાં પિવાના પાણી અને સિંચાઈ માટે થાય છે, જે બે નગર પાલિકાઓ માટે જીવનદાયી છે.
હાલ, તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ખાતરી કરી રહ્યું છે કે ડેમ પર વધતા પાણીની આવક નિયંત્રણમાં રહે. અંબિકા કાંઠે રહેલા ગામોએ પ્રશાસનની સૂચનાઓનું પાલન કરીને સુરક્ષા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો છે.