તા.૦૯-૧૧-૨૦૨૪ ના રોજ મુખ્યમંત્રી કાર્યાલય, ગાંધીનગર દ્વારા ગાર્ડા કોલેજના અંગ્રેજીના પ્રાધ્યાપક ડૉ. નેહા અરૂણ હરિયાણીનું પુસ્તક * એન એલિવેટર ઓફ લાઇફ: પાઉલો કોએલો અને રોબિન શર્મા, જે મેકમિલન ઇન્ટરનેશનલ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થયેલ છે, તેનું વિમોચન ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ (ઇન્ચાર્જ) અને MMTTC ના ડાયરેકટર અને પ્રોફેસર ડૉ. જગદીશ જોષીની વિશેષ ઉપસ્થિતિમાં અને જલાલપોરના આદરણીય ધારાસભ્ય શ્રી આર.સી.પટેલની શુભેચ્છાથી કરવામાં આવ્યું હતું.
એન એલિવેટર ઓફ લાઇફ: પાઉલો કોએલો અને રોબિન શર્મા”, એ ડૉ.નેહા અરૂણ હરિયાણી દ્વારા આકાર પામેલ પુસ્તક છે. આ પુસ્તક વિશ્વના મહાન બે લેખક પાઉલો કોએલો અને રોબિન શર્માની પસંદ કરેલ કેટલીક કૃતિઓનો તુલનાત્મક અભ્યાસ દર્શાવે છે. આ તુલનાત્મક અભ્યાસ જોસેફ કેમ્બેલનો પ્રખ્યાત ગ્રંથ ‘ધ હીરો વિથ એ થાઉઝન્ટ ફેસીસ’માં દર્શાવેલ સિધ્ધાંતને અનુસરે છે, જે અત્યાર સુધી સાહિત્ય જગતમાં પ્રસિદ્ધ પુસ્તકોમાં અનોખી વિશિષ્ટતા ધરાવતું પુસ્તક છે.
ડૉ.નેહા અરૂણ હરિયાણીનું આ પુસ્તક સાંપ્રત સમયના માનવીઓને ‘સ્વ-ઓળખ’ કરાવવા માટેનું એક મહત્વનું માધ્યમ છે. સાંપ્રત સમયના માનવીની દોડધામ ભરી જીવનશૈલી, જીવન પ્રત્યેની ઉદાસીનતા, નૈતિક ફરજો પ્રત્યે અસભાનતા, અસંતોષ, છૂપો ડર જેવા વિવિધ પાસાઓ વચ્ચે ભીંસ અનુભવતા માનવીના જીવનનાં તમામ પાસાઓ વચ્ચે સંતુલન સાધી જીવનનાં પડકારોનો સામનો કરવાનું ‘સ્વ કવચ’ આ પુસ્તક પૂરૂ પાડે છે અથવા તો એમ પણ કહી શકાય આ પુસ્તક જીવનમાં આવતા તમામ પડકારોનું એક સમાધાન પુરૂ પાડવા માટે સમર્થ છે.