આંતલિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં કાવેરી નદી કિનારે ચાલી રહેલી પ્રવૃત્તિઓએ હવે પર્યાવરણ સંરક્ષણ નહીં, પરંતુ કાયદા અને વ્યવસ્થાની સંપૂર્ણ નિષ્ફળતા ઉજાગર કરી છે. છેલ્લા લાંબા સમયથી નદી કિનારે ખુલ્લેઆમ કચરો એકત્ર કરી તેને સળગાવવામાં આવી રહ્યો છે. ઘાટો કાળો ધુમાડો આકાશમાં ઉડી રહ્યો છે, નદીમાં ઝેર ભળી રહ્યું છે અને લોકોનું આરોગ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે — છતાં જિલ્લા પ્રશાસન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને વનવિભાગ મૌન ધારણ કરીને બેઠાં છે.
કાયદા છે પણ તેનો અમલ ક્યાં છે?
ખુલ્લામાં કચરો સળગાવવો કોઈ સામાન્ય ભૂલ નથી, પરંતુ સ્પષ્ટ રીતે કાયદેસર ગુનો છે. પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, 1986 (Environment Protection Act) હેઠળ હવામાં અને જળમાં પ્રદૂષણ ફેલાવવું દંડનીય ગુનો છે. હવા (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1981 મુજબ ઝેરી વાયુઓ છોડવી કાયદાનો ભંગ છે. જળ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1974 અનુસાર નદીમાં પ્રદૂષણ ફેલાવવું ગુનાહિત કૃત્ય ગણાય છે. ઘન કચરા વ્યવસ્થાપન નિયમો, 2016 (Solid Waste Management Rules) અનુસાર ખુલ્લામાં કચરો સળગાવવું સંપૂર્ણ પ્રતિબંધિત છે.
પ્રશ્ન એ છે કે જ્યારે આટલા સ્પષ્ટ કાયદા છે, ત્યારે તેમનો અમલ કેમ થતો નથી?
યાયાવર અને દુર્લભ પક્ષીઓ માટે કાવેરી નદી અધિકારીઓની બેદરકારીનો શિકાર?
કાવેરી નદી કિનારે યાયાવર (Migratory) તથા જુજ બચેલા દુર્લભ પક્ષીઓ જોવા મળી રહ્યા છે. હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને અહીં પહોંચતા આ પક્ષીઓ માટે નદીનું કિનારો જીવનરેખા સમાન છે. પરંતુ હાલ આ વિસ્તાર ધુમાડો, આગ અને ઝેરી કચરાનો ગઢ બની ગયો છે.
ઘાટો કાળો ધુમાડો પક્ષીઓની ઉડાન ક્ષમતા, શ્વસનતંત્ર અને દિશા સંવેદન પર ગંભીર અસર કરે છે. અનેક પક્ષીઓ વિસ્તાર છોડવા મજબૂર થઈ રહ્યા છે, જે સ્થાનિક જૈવવિવિધતા માટે ખતરાની ઘંટડી સમાન છે.
જિલ્લા કલેક્ટર જિલ્લાનો સર્વોચ્ચ પ્રશાસકીય અધિકારી હોવા છતાં આવી પ્રવૃત્તિઓ કેવી રીતે બિનધાસ્ત ચાલુ રહે છે?
GPCBનું મુખ્ય કાર્ય પ્રદૂષણ અટકાવવાનું છે, છતાં નદી કિનારે થતું પ્રદૂષણ કેમ નજરઅંદાજ થાય છે?
સ્થાનિક રહેવાસીઓ અને પર્યાવરણપ્રેમીઓ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી રહ્યા છે કે જો કાવેરી નદી કિનારે કચરો નાખવા અને સળગાવવાની પ્રવૃત્તિ પર તાત્કાલિક પ્રતિબંધ નહીં મૂકાય, અને જવાબદાર અધિકારીઓ તથા દોષિતો સામે કડક કાર્યવાહી નહીં થાય, તો આ મુદ્દો વધુ ઉંચા સ્તરે લઈ જવામાં આવશે.
કાવેરી નદી કોઈ પરીક્ષણશાળા નથી જ્યાં કાયદાની અવગણના કરી શકાય.
જો આજે જિલ્લા પ્રશાસન અને GPCB જાગશે નહીં, તો આવતીકાલે આ બેદરકારી પર્યાવરણ, વન્યજીવન અને માનવ આરોગ્ય માટે અણમાફક નુકસાન કરશે.
