નવસારી જિલ્લાના જલાલપોર અને નવસારી તાલુકામાં ભાજપ સંગઠનને લઈને ઊભેલા અસંતોષ વચ્ચે મહત્વપૂર્ણ રાજકીય વળાંક આવ્યો છે. જિલ્લા અને તાલુકા સ્તરના કુલ 58 જેટલા કાર્યકર્તાઓએ અન્યાયની લાગણી વ્યક્ત કરી રાજીનામા આપ્યા હતા. તેમાંમાંથી 25 કાર્યકર્તાઓએ પોતાના રાજીનામા પરત ખેંચ્યા છે, જ્યારે 35 હોદ્દેદારોના રાજીનામા પ્રદેશ સંગઠનની સૂચનાથી સત્તાવાર રીતે સ્વીકારી લેવામાં આવ્યા છે.
માહિતી મુજબ, જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ સાથે અન્યાય થયો હોવાની લાગણી વ્યક્ત કરતા તેમના સમર્થક તરીકે ઓળખાતા કેટલાક હોદ્દેદારોએ સંગઠનમાંથી રાજીનામા આપ્યા હતા. છેલ્લા પંદર દિવસથી આ મુદ્દે ચર્ચા અને અંદરની સ્તરે ચર્ચાઓ ચાલી રહી હતી. અંતે પ્રદેશ સ્તરે નિર્ણય લઈ રાજીનામા સ્વીકારવામાં આવ્યા છે.
ભારતીય જનતા પાર્ટી ના નવસારી જિલ્લા પ્રમુખ અને મહામંત્રીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે ટૂંક સમયમાં જિલ્લા અને તાલુકા સંગઠન માટે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે. નવા માળખાની જાહેરાત બાદ સંગઠન વધુ મજબૂત બનશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાક્રમને પગલે નવસારી જિલ્લાના રાજકારણમાં ચહલપહલ વધી છે. રાજીનામા સ્વીકારવાના પગલાથી જલાલપોર અને નવસારી તાલુકામાં રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે નજર પ્રદેશ સંગઠનની આગામી નિમણૂકો પર રહેશે, જેનાથી સ્થાનિક રાજકીય દિશા નક્કી થશે.
