રાજ્યમાં HMPV વાયરસને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યનું આરોગ્ય વિભાગ તેમજ સિવિલ હોસ્પિટલ રોગ સામે લડવા પૂરતી તૈયારીની શરૂઆત કરી છે. મહત્વનું છે કે આ વચ્ચે નવસારી સિવિલમાં HMPV વાયરસને લઈને ટેસ્ટીંગ કીટ નો ઓર્ડર અપાયો છે, આઇસોલેશન વોર્ડ તૈયાર કરવા સાથે અઠવાડિયામાં શરદી તાવ અને ખાંસીના કેટલા કેસ નોંધાયા તે અંગે પણ ચકાસણી કરવામાં આવશે.
ચીનમાં હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV)ના કેસોમાં વધારો થતાં દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો. સોમવારે ગુજરાત સહિત ભારતના ચાર રાજ્યમાં આ વાઇરસના 6 કેસ નોંધાયા હતા. આ વાઇરસના તમામ દર્દી બાળક છે. HMPVની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. અને રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ખાસ કરીને અમદાવાદ, સુરત અને વડોદરામાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યા છે. ત્યારે નવસારીની સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા પણ આ વાયરસની સામે આઇસોલેશન તેમજ ઈમરજન્સી વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે, અને છેલ્લા 15 દિવસમાં શરદી ખાંસી તાવના 50 થી વધુ કેસ નોંધાયા છે.
દક્ષિણ ગુજરાતમાં સુરતનું પાડોશી શહેર નવસારી હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV) થી અસરગ્રસ્ત ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલાં લીધા છે. નવસારી સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો અહીં ડોક્ટરોની સંખ્યા, દવાનો પૂરતો જથ્થો, ઓક્સિજન માટેની વ્યવસ્થા તેમજ HMPV અને RTPCR ટેસ્ટ માટેની કીટ નો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. છેલ્લા 15 દિવસમાં શરદી ખાંસી તાવના 50થી વધુ કેસ નોંધાયા છે જે સિવિલ તંત્રના કહેવા મુજબ નિયમિત કહી શકાય છે, જેમાં કોઈ મોટો ઘટાડો વધારો કે ફેરફાર નોંધાયો નથી.
HMPV (હ્યુમન મેટાપ્યુમોવાયરસ) એ શ્વસન સંબંધી વાયરસ છે જે બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે જોખમી બની શકે છે. આ વાયરસ સામાન્ય શરદી જેવા લક્ષણોથી શરૂ થાય છે અને ગંભીર કિસ્સાઓમાં બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયા જેવા રોગોનું કારણ બની શકે છે. ગંભીર ચેપને કારણે શ્વાસ લેવામાં તકલીફ, વધુ તાવ અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી શકે છે. જો કે, હળવા ચેપના કિસ્સામાં તે તેની જાતે જ ઠીક થઈ જાય છે. આને રોકવા માટે, હાથની સ્વચ્છતા જાળવવી, ભીડથી દૂર રહેવું અને બીમાર વ્યક્તિઓના સંપર્કથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે.