નવસારીમાંથી પકડાયેલા આતંકી ફૈઝાન શેખે ઇસ્લામ પર બોલતા લોકોની હત્યા માટે યાદી તૈયાર કરી હતી. આ ખૂની ખેલ રમાય એ પહેલા જ ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી તેને ઝડપી લીધો છે. આતંકવાદ આજે સમગ્ર દુનિયા માટે સૌથી મોટો ખતરો બની ગયો છે અને આવા આતંકી આકાઓ પોતાના કાવતરાંને આગળ વધારવા માટે યુવાનોનું બ્રેનવોશ કરીને તેમને આતંકી પ્રવૃત્તિઓ તરફ ધકેલી રહ્યા છે.
સોશિયલ મીડિયાથી બ્રેનવોશ, ખતરનાક માનસિકતાનો ખુલાસો
નવસારીના ઝારાવાડ વિસ્તારમાંથી ધરપકડ કરાયેલા ફૈઝાન શેખ પાસેથી એક પિસ્તોલ અને ઉર્દુ તથા અરબી ભાષામાં લખાયેલું 29 પાનાનું સાહિત્ય ATSએ જપ્ત કર્યું છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી તેની કોમેન્ટ્સ અને ડિજિટલ પ્રવૃત્તિઓ પરથી તેની ખતરનાક માનસિકતા સામે આવી છે. પુરાવાઓના આધારે ATSએ તેની ધરપકડ કરી છે અને તેણે કોઈ મોટી ઘટના અંજામ આપવાની તૈયારી તો નહોતી કરી ને? તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
હત્યાના નિશાન પર હતા સાત લોકો
ATSની તપાસમાં ખુલ્યું છે કે ફૈઝાન શેખે હત્યા માટે ખાસ યાદી પણ તૈયાર કરી હતી. કુલ સાત લોકોના નામ આ યાદીમાં સામેલ હતા, જેમાં અભિષેક ઠાકોર, દક્ષ ચૌધરી, ગૌરવ રાજપુત, ડૉ. પ્રકાશ યુધિ રાણા, અક્કુ પંડિત અને વિક્રાંતનો સમાવેશ થાય છે. તે પોતે આ લોકોની હત્યા કરીને પોતાના આતંકી ચહેરાને દુનિયા સામે ખુલ્લો પાડવાની યોજના બનાવી રહ્યો હતો અને આ અંગે પોતાના આકાઓને પણ જાણ કરી હતી.
આતંકી સાહિત્ય અને હથિયારો ATSના કબજામાં
ગુજરાત ATSએ ફૈઝાન શેખ પાસેથી જપ્ત કરેલું સાહિત્ય ઉર્દુ અને અરબી ભાષામાં લખાયેલું છે. આ સાહિત્ય કોને મોકલાયું હતું અને તેની પાછળનું નેટવર્ક શું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે ફૈઝાને સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક સંવેદનશીલ માહિતી એકત્ર કરી હતી.
પાકિસ્તાનમાં બેઠેલા આતંકી આકાથી પ્રેરણા
ફૈઝાન શેખ મૂળ ભારતીય અને પાકિસ્તાન ભાગી ગયેલા આતંકી અયાતુલ્લાહ ઘોરીની આતંકી વિચારધારાથી પ્રેરિત થયો હોવાનું ATSની તપાસમાં સામે આવ્યું છે. તે કોઈ મોટા આતંકી કાવતરાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમગ્ર મોડ્યુલનો ખુલાસો ATSએ સોશિયલ મીડિયા આધારિત ટેકનિકલ તપાસ દ્વારા કર્યો છે. ફૈઝાન પાસેથી એક પિસ્તોલ અને કારતૂસ પણ કબજે લેવામાં આવ્યા છે.
ATS કયા મુદ્દાઓ પર તપાસ કરી રહી છે?
ATS હાલમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તપાસ કરી રહી છે. ફૈઝાને આતંકી ટ્રેનિંગ લીધી હતી કે નહીં? તે કયા મોડ્યુલ સાથે સંકળાયેલો હતો? અન્ય યુવાનોને જોડવાનો પ્રયાસ કર્યો હતો કે નહીં? આતંકી પ્રવૃત્તિ માટે ફંડિંગ ક્યાંથી આવી? પિસ્તોલ કોણે પૂરી પાડી? ભારતનો નકશો કાળો બતાવતો ફોટો ફૈઝાનનો જ છે કે નહીં? આવા અનેક પ્રશ્નોના જવાબ મેળવવા તપાસ તેજ કરવામાં આવી છે.
ટેલર તરીકે કામની આડમાં આતંકી પ્રવૃત્તિ?
19 વર્ષીય ફૈઝાન શેખ નવસારીમાં ઓક્ટોબરથી ફેબ્રુઆરી-માર્ચ સુધી સૂટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરતો હતો. ચારથી પાંચ મહિના કામ કર્યા બાદ તે પોતાના વતન યુપીના રામપુર જતો હતો. ATS એ પણ તપાસ કરી રહી છે કે શું તે અહીં કામ કરીને પૈસા ભેગા કરી આતંકી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરતો હતો કે નહીં.
રાત્રે મકાનના ખૂણે બેસી આતંકી સંપર્ક
તપાસમાં ખુલ્યું છે કે ફૈઝાન ઝારાવાડ વિસ્તારમાં આવેલા મકાનના ખૂણે રાત્રે બેસીને સોશિયલ મીડિયા મારફતે પોતાના આતંકી આકાઓ સાથે સંપર્કમાં રહેતો હતો. ATS તેની તમામ ડિજિટલ પ્રવૃત્તિઓ, સંપર્કો અને ચાલચાલિતની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે.
