નવસારી શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં વીજ કરંટ લાગતા 16 વર્ષની યુવતીનું દુઃખદ મૃત્યુ થયું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
મળતી માહિતી અનુસાર, નવસારી કૃષિ યુનિવર્સિટી સામે આવેલા સરગમ એપાર્ટમેન્ટ નજીક આ દુર્ઘટના બની હતી. મૃતક યુવતીનું નામ આયુષી દીપકભાઈ નાયકા (ઉંમર 16 વર્ષ) હોવાનું સામે આવ્યું છે.
આયુષી રાત્રિના સમયે પોતાના ઘરેથી નજીકની દુકાને નાસ્તો લેવા માટે નીકળી હતી. તે દરમિયાન રસ્તામાં આવેલા વીજ થાંભલામાંથી અચાનક કરંટ ઉતરતા તે તેની ઝપેટમાં આવી ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સની મદદથી યુવતીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે, મોડી રાત્રે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને પગલે પરિવારમાં અને વિસ્તારમાં ભારે શોકની લાગણી પ્રસરી છે.
