નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામની કન્યાશાળા નંબર-1માં મધ્યાહન ભોજનની ગુણવત્તાને લઈને ફરી વિવાદ ઉભો થયો છે. શાળાની ધોરણ 4ની એક વિદ્યાર્થીનીના ભોજનમાંથી ઇયળ મળી આવવાના મામલાએ ચકચાર મચાવી છે. શાળામાં અભ્યાસ કરતી 228 વિદ્યાર્થીનીઓ માટે પૂરા પાડાતા ભોજનમાં આવી ખામીઓ વારંવાર સામે આવી રહી છે.
શિક્ષકોને વાતની જાણ થતા જ તેમણે તાત્કાલિક ભોજનની ગુણવત્તા તપાસી હતી અને ઘટનાને ગંભીરતાથી લીધા બાદ શાળા સંચાલન સમિતિ (SMC)ના અધ્યક્ષે મધ્યાહન ભોજન સ્વીકારવાની ના પાડી છે. શાળાએ પણ મધ્યાહન ભોજન ન સ્વીકારવા માટે રજૂઆત કરી છે.
વાલીઓમાં ચિંતાનું મોજું
નાયક ફાઉન્ડેશન દ્વારા પૂરા પાડવામાં આવતા ભોજનની ગુણવત્તા પર અગાઉ પણ સવાલો ઉઠ્યા છે. ભૂતકાળમાં એક વખત ભોજનમાંથી ગરોળી મળવાનો કિસ્સો બન્યો હતો, જેનાથી વાલીઓમાં ચિંતાનું મોજું ફેલાયું હતું. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પણ નાયક ફાઉન્ડેશનના ભોજનની ગુણવત્તા પર અનેક વખત નિશાન સાધ્યું છે.
હાલમાં આ તાજા વિવાદના સંદર્ભે ભોજનના નમૂનાઓ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. છતાંય, ભૂતકાળમાં વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં કોઈ દૃઢ અને તત્કાલ પગલાં લેવામાં આવ્યા નથી. આવો બેદરકાર વલણ રાખવામાં આવતાં વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું થઈ રહ્યું છે, જેના સમાધાન માટે તાત્કાલિક અને સખત પગલાં લેવાની માગ ઉઠી છે.
કોંગ્રેસ પ્રમુખ દ્વારા આ બાબને લઈ રોષ
નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા આ બાબને લઈ રોષ વ્યક્ત કર્યો હતો. તેમનું કહેવું છે કે ગત સમયમાં અન્ય જગ્યાએ પણ આ પ્રકારની ઘટના બની. જોકે સેમ્પલ તો લેવામાં આવે છે પરંતુ આ સેમ્પલ લીધા બાદ કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે અંગે પ્રશ્નો કર્યા છે. આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા આ બાબતને લઈ આવેદન પણ આપવામાં આવશે.