ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ સર્જાય નહીં તે માટે અગમચેતી રાખવી જરૂરી છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા ગંભીર રોગો સામે રક્ષણ મેળવવા માટે કેટલાક તકેદારીના પગલા લઈએ તે હિતાવહ છે.
સોસાયટીમાં અને મકાનમાં છત સહિતની જગ્યાઓ પર પાણીનો નિકાલ કરવો, તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી, પક્ષીખાના, કુંડા, ટાયર, ભંગારનો સામાન વગેરેમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવો, સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવાથી મચ્છરથી બચી શકાય છે.
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા અગમચેતીના પગલાને અનુસરી મચ્છરજન્ય રોગોથી બચી શકાય છે. તાવ આવે તો આરોગ્ય કાર્યકર પાસે લોહીની નિઃશુલ્ક તપાસ કરાવવી, મેલેરિયા હોય તો, સંપૂર્ણ સારવાર કરાવવી. સામાન્ય રીતે મેલેરિયાનો ફેલાવો માદા એનોફિલિસ મચ્છર દ્વારા થાય છે.
મેલેરિયા સામે સાવચેતી રાખવા માટે ઘરની આજુબાજુ પાણીનો ભરાવો થવા ન દેવો, પાણીના નાના ખાડા-ખાબોચિયા પૂરી દેવા, પાણીનો મોટી જગ્યામાં સ્ટોરેજ હોય તેવા જળસંગ્રહ સ્થાનોમાં પોરાભક્ષક માછલીઓ અવશ્ય મૂકાવી, મેલેરિયાથી બચવા દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો.
મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યુ સામે પણ પણ કેટલીક સાવચેતી રાખી અને સલામત રહી શકાય છે. ડેન્ગ્યુ અટકાયત માટે ચોખ્ખા પાણીનાં સંગ્રહની તમામ જગ્યાઓ હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખો. થર્મોકોલની શીટ, બીનઉપયોગી ટાયર, ભંગાર, ખાલી વાસણોમાં ફ્રિજની પાછળની ટ્રે, પક્ષીકુંજ, પશુઓને પાણી પીવાની કુંડી સહિત ઉપયોગમાં ન હોય અને ફેંકી દેવા યોગ્ય વસ્તુઓનો નિકાલ કરવો. પાણી ભરાયું હોય તેવા સ્થાનો પરથી પાણી ખાલી કરવા, અને તે સ્થળને સુકાવા દેવા.
છત, છાજલી, અગાસી પર પડેલા નકામા ભંગાર, ટાયર વગેરેનો યોગ્ય નિકાલ કરવો, પાણીનો સંગ્રહ ન થાય તેની તકેદારી રાખવી. આ અંગેની વધુ વિગતો માટે આરોગ્ય કાર્યકર અથવા સરકારી દવાખાનોના સંપર્ક કરવો. અગમચેતી રાખી અને ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગોથી બચી શકાય છે.
Input Creadit : Information Department Navsari