નવસારીના ધર્મિનગર વિસ્તારની જલારામનગર સોસાયટીમાં રહેતા 57 વર્ષીય સ્વાતિ કિરણભાઈ પટેલનું કુંભમેળાની યાત્રા દરમિયાન દુર્ઘટનાજન્ય અવસાન થયું છે. સ્વાતિબેન ઓરિયેન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીમાં કાર્યરત હતા અને તેમના પરિવાર સાથે પ્રયાગરાજના કુંભમેળામાં યાત્રા માટે નીકળ્યા હતા.
અકસ્માતના સમાચાર
આ દુર્ઘટના રવિવારે રાત્રે 11 વાગ્યે ચિત્રકૂટ નજીક બની હતી, જ્યારે એક અજાણ્યા વાહને તેમની ટવેરા કારને સાઇડમાંથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સ્વાતિબેનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેમને તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું અવસાન થયું.
શું છે પરિવારની સ્થિતિ ?
કારમાં સવાર અન્ય સાત લોકોને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. એક વ્યક્તિને ખભામાં ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય લોકો સામાન્ય ઈજાઓ સાથે બચી ગયા. તમામ ઈજાગ્રસ્ત લોકો હાલ સુરક્ષિત રીતે ઘરે પરત આવી ગયા છે. સ્વાતિબેનના મૃતદેહને નવસારી લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.
પોલીસ તપાસ ચાલુ છે
ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા આ અકસ્માતની તફતીષ શરૂ કરવામાં આવી છે. સ્વાતિબેનના અચાનક અવસાનથી પરિવાર અને સોસાયટીમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
આ દુર્ઘટનાને કારણે યાત્રા દરમિયાન સલામતીના નિયમોનું પાલન કરવાનું મહત્ત્વ ફરી એકવાર સમજાયું છે.