નવસારીમાં સાયબર ક્રાઈમના મામલાઓ ફરી પ્રકાશમાં આવ્યા છે, જ્યાં એક જ દિવસમાં સાયબર ઠગાઈના પાંચ નવા કેસ નોંધાયા છે. આ તમામ કેસોમાં કુલ 32 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. પોલીસ દ્વારા અલગ-અલગ 17 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, અને તપાસ ચાલી રહી છે.
પ્રથમ કેસમાં ખેરગામના રહીશ ચેતન પટેલને વોટ્સએપ પર લિંક મોકલી એક ઓસ્ટ્રેલિયન ઇલેક્ટ્રોનિક કંપનીમાં રોકાણની લાલચ આપી 50,000 રૂપિયાની ઠગાઈ કરવામાં આવી.
બીજામાં, વિજલપોરના પ્રતીકકુમાર પટેલ સાથે ટેલિગ્રામ પર લિંક દ્વારા 99,900 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી.
ત્રીજા કેસમાં, નવસારી શહેરના વેપારી જયેશ વખારિયાને વોટ્સએપ પર ઉંચા વળતરની લાલચ આપી છ શખ્સોએ શેરબજારમાં રોકાણ કરાવવાનું કહીને 23 લાખ રૂપિયાની મોટી છેતરપિંડી કરી.
ગણદેવીના રહેવાસી જયેશ પટેલ સાથે મિત્રના નામે ફોન કરી હોસ્પિટલમાં તાત્કાલિક પૈસાની જરૂરિયાત હોવાનું કહી 1.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી.
છેલ્લા કેસમાં અબ્દુલહયે ઉકડીયાને વિદેશ મોકલવાના બહાને ગૂગલ પે દ્વારા 6 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા.
પોલીસે તમામ ઘટનાઓની તપાસ શરૂ કરી છે અને લોકોને ઓનલાઈન વ્યવહારોમાં વિશેષ સાવધાની રાખવા માટે અપીલ કરી છે. સાયબર ઠગાઈના વધતા પ્રમાણને ધ્યાનમાં રાખીને લોકોને અજાણી લિંક્સ પર ક્લિક ન કરવા અને શંકાસ્પદ ફોન કોલ્સને અવગણવા સૂચના આપવામાં આવી છે.