નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પવિત્ર યાત્રાધામ ઉનાઈ માતાજીના મંદિરમાં દાનપેટીની ચોરીની ઘટના સામે આવી છે. મુખ્ય મંદિર પરિસરમાં આવેલા મહાદેવના મંદિર પાસે મૂકવામાં આવેલી દાનપેટી અજાણ્યા ઇસમોએ મોડી રાત્રે ચોરી લીધી હતી. આ ઘટનાથી યાત્રાધામની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મોડી રાત્રે અજાણ્યા ચોરોએ મંદિર પરિસરમાં પ્રવેશ કરી દાનપેટીનું તાળું તોડી તેમાં રહેલું દાન ચોરીને ફરાર થયા હતા. મકરસંક્રાંતિ પર્વ પહેલા ભક્તો દ્વારા મોટી રકમનું દાન કરવામાં આવ્યું હોવાનું અનુમાન છે, જેના કારણે દાનપેટીમાં લાખો રૂપિયાનું દાન હોવાનું મનાય છે.
ઘટનાની જાણ થતાં જ વાંસદા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઉનાઈ મંદિરથી માત્ર 100 મીટર દૂર પોલીસ ચોકી હોવા છતાં ચોરીની ઘટના બનતા રાત્રિ દરમિયાન પોલીસની નાઈટ પેટ્રોલિંગ વ્યવસ્થા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. સ્થાનિક લોકોમાં પણ આ બાબતે નારાજગી જોવા મળી રહી છે.
ચોરીની ગંભીરતા જોતા આરોપીઓને ઝડપી લેવા માટે વાંસદા ટાઉન પોલીસ સાથે સાથે એલસીબી અને એસ.ઓ.જી. પોલીસની ટીમો પણ તપાસમાં જોડાઈ છે. પોલીસે મંદિર અને આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી છે અને આરોપીઓ સુધી પહોંચવા માટે શોધખોળ તેજ બનાવી છે.
પોલીસ દ્વારા વહેલી તકે ચોરોને પકડવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે યાત્રાધામની સુરક્ષા વધુ મજબૂત બનાવવાની માંગ પણ ઉઠી રહી છે.