નવસારી મહાનગરપાલિકામાં મેયર પદને લઈને ચાલી રહેલી તમામ અટકળો અને ચર્ચાઓ પર હવે પૂર્ણવિરામ આવી ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ મહાનગરપાલિકાના પાંચ મહત્વપૂર્ણ હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરી છે. શહેરના રાજકીય વર્તુળોમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ચર્ચાઓ બાદ હવે આખી તસવીર સ્પષ્ટ બની ગઈ છે.
નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોકભાઈ ધોરાજીયાની વરણી કરવામાં આવી છે. લાંબા સમયથી પાર્ટી સાથે જોડાયેલા અને સંગઠન માટે સતત કાર્યરત રહેલા અશોકભાઈને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાતા ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
ડેપ્યુટી મેયર તરીકે કેયુરીબેન દેસાઈની પસંદગી કરવામાં આવી છે. મહિલાઓને નેતૃત્વમાં આગળ લાવવાના પ્રયાસરૂપે પાર્ટીએ આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. શહેરના વિકાસ કાર્યોમાં તેઓ સક્રિય ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલની વરણી કરવામાં આવી છે, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિતને જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ મહાનગરપાલિકાના દંડક તરીકે રાકેશભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે.
અશોકભાઈ ધોરાજીયાની રાજકીય સફર ખાસ નોંધપાત્ર રહી છે. છેલ્લા 42 વર્ષથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામાન્ય કાર્યકર્તા તરીકે સક્રિય રહ્યા છે. સંગઠનને મજબૂત બનાવવામાં તેમજ દક્ષિણ ગુજરાતમાં ભાજપને વિસ્તૃત આધાર અપાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું પક્ષના નેતાઓ માની રહ્યા છે.
સામાન્ય કાર્યકર્તા તરીકે શરૂઆત કરીને મહાનગરપાલિકાના પ્રથમ મેયર સુધી પહોંચવાનો અશોકભાઈનો સફર અનેક કાર્યકર્તાઓ માટે પ્રેરણારૂપ માનવામાં આવી રહ્યો છે. પાર્ટીએ લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક કામ કરનાર કાર્યકર્તાને મહત્વપૂર્ણ પદ આપતા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
