નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામે આજે વહેલી સવારે એક દિપડો પાંજરે પુરાયો હતો. અમલસાડ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી અવારનવાર દિપડો દેખાવાની ઘટનાઓ સામે આવી રહી હતી, જેના કારણે ગ્રામજનોએ ભયની લાગણી અનુભવવી પડી રહી હતી.
આ બાબતે ગણદેવી સામાજિક વનીકરણ વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ મળતાં વનવિભાગ દ્વારા દિપડાને પકડવા માટે મધ તળાવ નજીક ભીખુ ભાઈ આહિરના ખેતરમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.
આજે વહેલી સવારે અંદાજે ચાર વર્ષનો, કદાવર દિપડો પાંજરામાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ગણદેવી સામાજિક વનીકરણ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને વનવિભાગે દિપડાનો કબજો લીધો હતો.
વનવિભાગ દ્વારા પકડાયેલા દિપડાની જરૂરી ડોક્ટરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેમજ તેને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. દિપડો પાંજરે પુરાતા ગામના લોકોમાં ભયનો માહોલ દૂર થયો હતો અને ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.