નવસારી શહેરના આદિવાસી વિસ્તારોમાં તાજેતરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે આદિવાસી લોકોના ઝૂપડા હટાવવામાં આવશે અને કેટલાક લોકોને ઘર તો કેટલાકને અન્ય લાભ આપવામાં આવશે. આ પ્રકારની વાતોને કારણે સ્થાનિક લોકોમાં ગેરસમજ અને ચિંતા ફેલાઈ છે.
આ બાબતે ભાજપ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવી તમામ અફવાઓ સંપૂર્ણપણે ખોટી અને આધારવિહોણી છે. જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે હાલમાં જે સર્વે હાથ ધરવામાં આવ્યો છે તે માત્ર જનરલ સર્વે છે અને તેનો કોઈપણ રીતે ઘર હટાવવાની કાર્યવાહી સાથે સંબંધ નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે સમગ્ર સ્લમ વિસ્તાર માટે ભવિષ્યમાં પાકા મકાનો ઉપલબ્ધ થાય તે માટે એક સંપૂર્ણ અને વ્યવસ્થિત વિકાસ યોજના તૈયાર કરવામાં આવે છે. આ યોજનાના પ્રારંભિક તબક્કા તરીકે જનરલ સર્વે કરવામાં આવ્યો છે, જેથી સાચી માહિતી આધારે આયોજન કરી શકાય.
હાલમાં આદિવાસી વિસ્તારોમાં કોઈ ઘર હટાવવાની વાત નથી અને ન તો આવી કોઈ કાર્યવાહી અંગે નિર્ણય લેવાયો છે. શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આયોજન આગળ વધારવામાં આવી રહ્યું છે.
ભાજપનું કહેવું છે કે… ખાસ કરીને ચૂંટણી નજીક આવે ત્યારે આવી પ્રકારની ભ્રામક અફવાઓ સોશિયલ મીડિયા મારફતે ફેલાવવામાં આવે છે, જેનાથી લોકોમાં ગેરસમજ ઊભી થાય છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આવા અફવાઓ પર વિશ્વાસ ન કરે અને અધિકૃત માહિતી પર જ આધાર રાખે.
આ દરમ્યાન સભામાં હાજર આગેવાનોએ કેટલાક મુદ્દાઓ અંગે વાત કરી હતી. અને ભાજપનું ધ્યાન દોર્યું હતું. આદિવાસી સમાજના લોકો લાંબા સમયથી જ્યાં વસવાટ કરે છે, તે તમામ પરિવારોના નામ યોગ્ય રીતે નોંધવામાં આવે તેવી માંગ સભામાં ઉઠાવવામાં આવી હતી. કોઈપણ પ્રકારના સ્થળાંતર પહેલાં અસરગ્રસ્ત પરિવારો માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, ત્યારબાદ જ નોટિસ આપવામાં આવે તેવી સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી હતી.
સભામાં આ બાબતે પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે જો કોઈ વિસ્તારમાં ડિમોલીશનની કાર્યવાહી કરવાની થાય તો તે પહેલાં આદિવાસી સમાજના આગેવાનોને વિશ્વાસમાં લેવામાં આવે અને તેમની સાથે ચર્ચા કર્યા બાદ જ આગળની કામગીરી કરવામાં આવે. એકતરફી અને ઉતાવળભરી કાર્યવાહીથી સામાજિક અસંતોષ ઊભો ન થાય તે માટે સાવચેતી રાખવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી.
સભામાં હાજર લોકોએ જણાવ્યું હતું કે દેવીનો પાર્ક વિસ્તારમાં ACBની ઓફિસ બનાવવા માટે જગ્યા ખાલી કરાવવાની ચર્ચા ચાલી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે.
આ મુદ્દે ધારાસભ્ય રાકેશ દેસાઈએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારનું બળજબરીથી વિસ્થાપન કરવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે કમિશનર દ્વારા પણ આ બાબતે ખાતરી આપવામાં આવી છે કે લોકોના હિત અને પુનર્વસનને ધ્યાનમાં રાખીને જ કોઈપણ નિર્ણય લેવામાં આવશે.